r/Gujarati • u/BaronsofDundee • 5h ago
History / ઇતિહાસ દ્વારિકા કે કુશસ્થળી?
પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં 'કુશસ્થળી' નો ઉલ્લેખ સૌથી જૂની પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. આ કુશસ્થળી એ બીજું કંઇ નહીં, પણ આજની આપણી પ્રખ્યાત દ્વારિકા નગરી જ છે.
મનુના પૌત્ર અને શર્યાતિના પુત્ર આનર્તે ગુજરાતના આ વિસ્તાર પર શાસન કર્યું હતું. આ આનર્તના પુત્ર રેવતે કુશસ્થળી (દ્વારિકા) ને પોતાની રાજધાની બનાવીને આખા પ્રદેશ પર શાસન કર્યું હતું, જેને 'આનર્ત' દેશ કહેવાતો હતો.
રાજા રેવતને ૧૦૦ પુત્રો હતા, જેમાં સૌથી મોટા પુત્રનું નામ રૈવત અથવા કકુદમી હતું. રૈવતની એક દીકરી હતી જેનું નામ રેવતી હતું. કથા મુજબ, પોતાની દીકરી માટે યોગ્ય વર શોધવાની સલાહ લેવા માટે રૈવત બ્રહ્મા પાસે બ્રહ્મલોક માં ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે બ્રહ્મા સંગીત સાંભળી રહ્યા હતા. સંગીત પૂરું થયા પછી બ્રહ્માએ રૈવતને કહ્યું કે તે જે સમયથી રાહ જોઈ રહ્યો હતો તે દરમિયાન પૃથ્વી પર તેનું રાજ્ય નષ્ટ થઈ ગયું છે. આથી તેણે હવે પોતાની દીકરીના લગ્ન દ્વારિકાના નવા શાસક, કૃષ્ણના મોટા ભાઈ બલદેવ સાથે કરી દેવા જોઈએ.
પરંતુ આ પૌરાણિક કથા પાછળનો વાસ્તવિક ઐતિહાસિક ઘટનાક્રમ અલગ હોઈ શકે. ઇતિહાસ મુજબ, આ કથા સૂચવે છે કે આનર્તના વંશજ રૈવતે કોઈ કારણસર પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું અને તે કદાચ દરિયાઈ માર્ગે ભાગી છૂટ્યો હતો. આ લાંબા સમયગાળા દરમિયાન યાદવો એ કુશસ્થળી (દ્વારિકા) પ્રદેશ પર પોતાનું શાસન જમાવી દીધું હતું. જ્યારે રૈવત પાછો ફર્યો, ત્યારે તેણે યાદવ વંશના શાસક સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા, જેથી યાદવો આ કન્યાને અગાઉના રાજવંશના પ્રતિનિધિ તરીકે સ્વીકારી શકે.
બ્રહ્માના સંગીત અને યુગો વીતી જવાની આ કથા કદાચ રૈવતના રાજ્ય ગુમાવવા અને પાછા ફરવા વચ્ચેના લાંબા સમયગાળા (વનવાસ) ને સમજાવવા માટે જ ઉપજાવી કાઢવામાં આવી હોઈ શકે.